Saturday, May 9, 2020

પ્રસંગ ૮: અંતરના આશિષ

'શાંત, બસ રાખ્ય હવે, માથું દુઃખતું હળવું થઈ ગયું છે. તેં તો ભાઈ, આ માંદગીમાં ભારે શ્રદ્ધાથી ખડેપગે સેવા બજાવી છે.' માથું દાબી રહેલા શિષ્યને ગુરુએ વહાલથી કૃતજ્ઞભાવે કહ્યું.
'સેવા તો બીજી હું શું કરું પણ આપ બે દિવસથી ખાસ કાંઈ જમ્યા નથી એટલે થોડુંક જમો તો મારા અંતરમાં નિરાંત થાય.'
મમતાભરી લાગણીથી શિષ્યે કહ્યું.
'ભૂખ તો હજુય ખાસ નથી લાગી પણ તારો આવો આગ્રહ છે તો થોડુંક કાંઈક કરી લાવ્ય, બસ !' ગુરુએ અનુમતિ આપી.
ગુરુની અનુજ્ઞા મળતા શિષ્યના અંતરમાં અનેરો આનંદ છવાઈ ગયો. ઉત્સાહભેર ભંડારમાં જઈ એણે તુર્તજ ખીચડી ને કઢીની
તૈયારી આરંભી દીધી. વળી નાની તપેલીમાં તુવેરદાળ ઓરી કુશળતાથી એનું ખીરું તૈયાર કરી નાની બે ત્રણ વેડમી પણ બનાવી
લીધી. ઠાકોરજીને ખીચડી, કઢી ને વેડમી ધરાવી એણે ગુરુને ઠાકોર જમાડવા બોલાવ્યા.
ગુરુજી પણ એના હાથનો ટેકો લઈ ભંડારમાં જમવા પધાર્યા. ગુરુજીને ઓઠીંગણે બેસાડી પત્તરમાં પોતે થોડી ખીચડી, કઢી ન વેડમી
પીરસ્યાં. શિષ્યે રુચિકર રસોઈ કરી હોવાથી ગુરુ એને રાજી રાખવા પ્રસાદ રૂપે થોડું જમ્યા. આથી શિષ્યના હૈયામાં ટાઢક પ્રસરી
ગઈ.
ગુરુજીએ ચળું કરીને જળપાન કરતા કહ્યું, 'શાંત, તેં તો આજ થોડીજ વારમાં ખીચડી, કઢી ને સરસ વેડમી બનાવી પ્રભુનો પ્રસાદ
મને ભાવથી જમાડયો. હું તારી આવી એકધારી સેવાથી ખૂબ રાજી છું. તારે મારી પાસે કાંઈ માગવાની ઈચ્છા હોય તો બોલ.'
'આપ મારી ઉપર ખૂબ રાજી છો, પછી બીજું મારે શું જોઈએ?' 
'જો ભાઈ, આ તારા હાથનો છેલ્લો પ્રભુપ્રસાદ જમીને હું કાલે તો મહારાજના ધામમાં જવાનો છું તેથી જ મેં તને કાંઈક માગવાની આ
વાત કહી છે.' ગુરુએ સ્પષ્ટતા કરતાં કહ્યું.
આ સાંભળતા તો શિષ્યનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એ અવાચક બની ટગર ટગર ગુરુજીના મુખ સામે જોઈ જ રહ્યો. એની
આંખમાં આંસુઓ ઉભરાઈ આવ્યાં. આમ છતાં એણે સ્વસ્થતા જાળવવા પ્રયત્ન કરીને કહ્યું, 'આપના વિના હવે હું કેમ કરીને
રહી શ...કી...શ ?'... આટલું તો એનાથી માંડ માંડ બોલાયું. ગળે ડૂમો આવી જતાં હૈયું ભરાઈ ગયું.
આથી ગુરુએ પરિસ્થિતિ વિચારી એને સાંત્વના આપતાં કહેવા માંડયું, 'જો ભાઈ, આમ દિલગીર ન થવાય. જેને માટે મેં આખી
જિંદગી સાધના કરી, એ ભગવાન સ્વામિનારાયણ અંતકાળે મને તેડવા આવે અને એમની સાથે મારે અક્ષરધામમાં જવાનું થાય
એનાથી રૂડો બીજો આનંદનો અવસર મારા માટે કયો હોય શકે !!'
'હું આપની છત્રછાયામાં મોટો થયો છું. આપે તો મને ભણાવવા ઘણોય દાખડો કર્યો પણ હું આળસથી કમનસીબે પૂરું ભણી ન
શક્યો એનો હવે મનમાં ખૂબ પસ્તાવો થાય છે ! હું આપના વિના સત્સંગમાં કેમ નભીશ ?' અશ્રુભીની આંખે એણે પોતાની વેદના
વ્યક્ત કરી.
આથી ગુરુએ કરુણાભીના થઈ પોતાનો વરદહસ્ત એના મસ્તકે મૂકીને વાત્સલ્યભાવે અંતરની આશિષ આપતા પ્રભુને સંભારીને
કહ્યું, 'શાંત, તું ભલે વિદ્યા ન ભણી શક્યો પણ ભણવા જેવું તો તું જરૂર ભણી ગયો છો. તું ધર્મવાળો ને નિર્માની સેવક છો. તારી
વિદ્યા સદાય તાજી રહેશે. તારામાં રહી ભગવાન સ્વામિનારાયણ બોલશે અને તારી મધુર વાણી સભામાં અસ્ખલિત વહેશે.
ભગવાનની કથાવાર્તા કરવામાં તો તને કોઈ નહિ પહોંચે.'
ગુરુવર્યના અંતરના આવા આશિષ મળતાં શિષ્યના અંતરમાં થોડી શાતા વળી. એણે ધીરજ ધારણ કરી. વડીલ ગુરુભાઈઓ
સાથે રહી ગુરુની અંતિમ વિધિમાં અપૂર્વ સેવા બજાવી.
અંતરના આવા આશિષ આપનાર હતા સ. બ્રહ્મચારી શ્રી અચિંત્યાનંદજી અને આવા આશિષના અધિકારી હતા સત્શિષ્ય
બ્રહ્મચારી શાંતાનંદજી.

ગુરુકૃપા પ્રાપ્ત થવી મહા દુર્લભ છે. નિષ્કામ સેવાભાવે ગુરુની અનુવૃત્તિમાં વર્તનાર સદ્ભાગી શિષ્ય જ એ પ્રાપ્ત કરી શકે છે. આવા
ગુરુમુખી શિષ્યની સાધના અને મનોરથો સરળતાથી સિદ્ધ થાય છે.

No comments:

Post a Comment